પાયલટના ભાવિ પગલાં કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર નિર્ભર

Spread the love

મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી, પરંતુ રાજસ્થાનના બંને કદાવર નેતાઓ વચ્ચે મુખ્ય મુદ્દાઓ નો કોઈ ઉકેલ આવ્યો ન હતો


જયપુર
કોંગ્રેસ નેતા સચિન પાયલટના આગામી પગલા અંગે અટકળોએ જોર પકડ્યું છે. દરમિયાન તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું કે તેઓ તેમની માંગણીઓ પર અડગ છે અને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જોકે, તેમનો પક્ષ છોડવાનો કે તોડવાનો કોઈ ઈરાદો નથી. એટલે કે પાયલોટનું રાજકીય ભવિષ્ય હાઈકમાન્ડના નિર્ણય પર નિર્ભર રહેશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની ભૂમિકા પણ નક્કી કરશે.
ઉલ્લેખનીય કે પાયલટે ગત ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે વસુંધરા સરકાર દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ કરી છે. જેને લઈને તેઓ વિરોધ કરવા માટે એક દિવસના મૌન ઉપવાસ પર બેઠા હતા. પાયલટના ધરણાને કારણે અશોક ગેહલોત સરકાર શંકાના દાયરામાં આવી ગઈ હતી. જોકે, બાદમાં પાર્ટી હાઈકમાન્ડે દિલ્હીમાં બંને નેતાઓ સાથે બેઠક યોજી હતી અને સમાધાનનો દાવો કર્યો હતો.
તાજેતરમાં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાઇલટ નવી પાર્ટીની રચનાની જાહેરાત કરી શકે છે. તેમની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ તેમની માંગણીઓ પર અડગ છે અને ઇચ્છે છે કે અશોક ગેહલોત સરકાર અગાઉના ભાજપના શાસન દરમિયાન કથિત ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરે અને સરકારી ભરતી પરીક્ષાઓ સંબંધિત પેપર લીક જેવી બાબતો પર ગંભીર પગલાં લે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાયલટે ગયા અઠવાડિયે પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી, પરંતુ રાજસ્થાનના બંને કદાવર નેતાઓ વચ્ચે “મુખ્ય મુદ્દાઓ” નો કોઈ ઉકેલ આવ્યો ન હતો. 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બની ત્યારથી જ ગેહલોત અને પાયલટ વચ્ચે સત્તા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. જ્યારે પાર્ટી રાજ્યમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા બંને વચ્ચેના વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી છે.
હવે એવી અટકળો ચાલી રહી છે કે પાયલટ દૌસામાં તેમના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિએ 11 જૂને તેમના ભવિષ્ય વિશે સ્પષ્ટ સંકેત આપી શકે છે. તેમની નજીકના એક સૂત્રએ કહ્યું કે, તેઓ (પાયલટ) પાર્ટી નેતૃત્વના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, હાલ મામલો અમારી તરફેણમાં છે.
નજીકના નેતાઓએ કહ્યું કે તે (પાયલટ) ‘સૈદ્ધાંતિક સ્થિતિમાં’ છે અને તે કોઈ પદ વિશે નથી. ભ્રષ્ટાચાર અને પેપર લીકના મુદ્દાઓ તેમની ટોચની પ્રાથમિકતા છે. આ સિવાય પાયલટની અન્ય બે માંગણીઓમાં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (આરપીએસસી)નું પુનર્ગઠન કરવું અને તેમાં નવી નિમણૂકો કરવી અને પેપર લીક બાદ સરકારી ભરતી પરીક્ષા રદ થવાથી પ્રભાવિત થયેલા લોકો માટે વળતરનો સમાવેશ થાય છે.
હાલમાં દૌસામાં રાજેશ પાયલટની પુણ્યતિથિ પર દર વર્ષે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેની દેખરેખ કૃષિ માર્કેટિંગ રાજ્ય મંત્રી મુરારી લાલ મીણા કરી રહ્યા છે, જેઓ પાયલટના નજીકના ગણાય છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, મને નથી ખબર કે નવા પક્ષની અટકળો ક્યાંથી શરૂ થઈ. મને આવી અટકળોમાં કોઈ યોગ્યતા દેખાતી નથી. હું પાર્ટીની વિચારધારા પ્રમાણે કામ કરું છું. કોંગ્રેસે ગયા ગુરુવારે કહ્યું હતું કે પાર્ટી સર્વોચ્ચ છે અને જીત માટે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી એક થઈને લડશે.

Total Visiters :141 Total: 1093141

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *