6 મહિના માટે ક્રિકેટથી દૂર રહી શકે છે, ટૂર્નામેન્ટ શરૂ થવામાં લગભગ પાંચ મહિના બાકી
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/06/download-7-10.jpg)
ઓકલેન્ડ
વનડે વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ ઈજાગ્રસ્ત થયો છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા ટી20 બ્લાસ્ટ દરમિયાન બ્રેસવેલ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે 6 મહિના માટે ક્રિકેટથી દૂર રહી શકે છે. બ્રેસવેલ ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. જો કે ટૂર્નામેન્ટ શરૂ થવામાં લગભગ પાંચ મહિના બાકી છે.
પહેલા કેન વિલિયમસન અને હવે માઈકલ બ્રેસવેલ, ન્યૂઝીલેન્ડના બે મોટા ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા ઈજાગ્રસ્ત થયા છે. આવતીકાલે બ્રેસવેલની ઇંગ્લેન્ડમાં સર્જરી થશે. આ પછી તે પોતાનું રિહેબ શરૂ કરશે. આ સ્થિતિમાં ભારતમાં રમાનાર વનડે વર્લ્ડ કપમાંથી તે બહાર થઈ જશે તે નિશ્ચિત છે. ઈજા અંગે ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતું કે, સૌથી પ્રથમ જ્યારે કોઈ ઈજાગ્રસ્ત હોય છે અને ખાસ કરીને જ્યારે તેને વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધામાંથી બહાર થવું પડે છે ત્યારે તે ખિલાડી માટે ખેદ થાય છે.
વર્ષની શરૂઆતમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વનડે સિરીઝની એક મેચમાં માઈકલ બ્રેસવેલે રનનો પીછો કરતા 82 બોલમાં અણનમ 127 રન બનાવ્યા હતા. જો કે ન્યૂઝીલેન્ડ આ મેચ જીતી શક્યું ન હતું, પરંતુ બ્રેસવેલે પોતાની ધમાકેદાર ઇનિંગથી બધાના દિલ જીતી લીધા હતા.
બ્રેસવેલ ન્યુઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. તેણે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ, 19 વનડે અને 16 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 259 રન બનાવ્યા છે અને 25 વિકેટ પણ લીધી છે. આ સિવાય વનડેમાં બ્રેસવેલે 510 રન બનાવ્યા છે જેમાં 2 સદી પણ સામેલ છે. આ ઉપરાંત તેણે 15 વિકેટ પણ લીધી છે. ટી20 ઇન્ટરનેશનલમાં બ્રેસવેલે બેટથી 113 રન બનાવ્યા છે અને બોલિંગમાં 21 વિકેટ લીધી છે.