નેપાળી યાત્રીએ કેબિન ક્રૂ મેમ્બર સાથે મારપીટ કરી હતી અને ફ્લાઈટની અંદરનો દરવાજો પણ તોડી નાખ્યો
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/07/download-11-7.jpg)
નવી દિલ્હી
કેનેડાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મંગળવારે એક યાત્રીએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. નેપાળી યાત્રીએ કેબિન ક્રૂ મેમ્બર સાથે મારપીટ કરી હતી અને ફ્લાઈટની અંદરનો દરવાજો પણ તોડી નાખ્યો હતો. સ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી કે કેબિન ક્રૂએ અન્ય મુસાફરોની મદદથી વ્યક્તિને પકડવો પડ્યો હતો. જે બાદ દિલ્હી પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેનેડાના ટોરન્ટોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં નેપાળી નાગરિક મહેશ સિંહ પંડિતે હોબાળો મચાવ્યો હતો. પહેલા યાત્રીએ પોતાની સીટ બદલી ત્યારબાદ ક્રૂ મેમ્બરને અપશબ્દો બોલ્યો.
દિલ્હી પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં જણાવ્યું છે કે, પાયલટે યાત્રીને વારંવાર ચેતવણી આપી તો પણ તે ન માન્યો. ક્રૂ મેમ્બરનું કહેવું છે કે, પહેલા મહેશે પોતાની સીટ બદલી અને ત્યારબાદ તેણે ગેરવર્તન કર્યું.
આ ઉપરાંત તે બાથરૂમમાં જઈને સ્મોકિંગ કરી રહ્યો હતો તેને લાઈટર સાથે પકડ્યો હતો. જ્યારે તેણે પકડ્યો ત્યારે તેણે ક્રૂને ધક્કો માર્યો અને સીટ તરફ ભાગી ગયો. આ દરમિયાન તે ખૂબ અપશબ્દો પણ બોલ્યો હતો. ક્રૂ એ બાદમાં આ ઘટનાની જાણકારી પાયલટને આપી. ત્યારબાદ યાત્રીને પકડી લેવામાં આવ્યો.
દિલ્હી પોલીસે આ મામલે કલમ 323, 506, 335 હેઠળ કેસ નોંધ્યો છે. આ ઉપરાંત એરક્રાફ્ટ નિયમો હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. એરક્રાફ્ટમાં મુસાફરો દ્વારા આ પ્રકારની ગેરવર્તનનો મામલો નવો નથી. અવારનવાર આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મુસાફરોએ હોબાળો મચાવ્યો છે.