સૌરાષ્ટ્ર, દ. ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Spread the love

17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બની રહ્યો છે


અમદાવાદ
રાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. આ સાથે આગામી તા. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં વરસાદે બે દિવસનો વિરામ લીધા બાદ આગામી બે દિવસ બાદ ફરી એકવાર વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી તા. 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ત્રીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. તો આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં 17 જુલાઇ બાદ ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બની રહ્યો છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમા ફરી એકવાર મેધરાજાની તોફાની બેટિંગ શરુ થાય તેવુ અનુમાન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટછવાયો વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને આગામી તા. 18 જુલાઇ બાદ વરસાદનું જોર વધવાની શકયતા છે. આ દિવસોમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, અને દાહોદ તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 49. 21 ટકા વરસાદ થઈ ચુક્યો છે. કચ્છમાં સૌથી વધુ 112, તો સૌરાષ્ટ્રમાં 66.48 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 50, દક્ષિણ ગુજરાતમાં 40 ટકા વરસાદ થઈ ચુક્યો છે. તેમજ મધ્ય ગુજરાતમાં 36 ટકાથી વધુ વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ છે.
રાજ્યમાં પહેલા અને બીજા રાઉન્ડમાં સારો વરસાદ થતા રાજ્યના કુલ 207 પૈકી 75 જળાશયો હાઈએલર્ટ પર આવી ગયા છે. ગુજરાતમાં સારા વરસાદને પગલે સૌરાષ્ટ્રના 21, કચ્છના 8 જળાશયો ઓવર ફ્લો થયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ એક એક જળાશય ઓવરફ્લો થઇ ચૂક્યાં છે. હાલમાં રાજ્યના 15 જળાશયો એલર્ટ પર છે. 19 જળાશયો વોર્નિંગ પર છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 50.37 ટકા જળસંગ્રહ છે.

Total Visiters :153 Total: 1093349

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *