આખો પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓએ તેમની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેમને આંગણામાં ખેંચી લાવ્યા અને આગ ચાંપી દીધી
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/07/download-13-11.jpg)
જોધપુર
રાજસ્થાનના જોધપુરમાં સામૂહિક હત્યાકાંડની ઘટના સામે આવી છે. ત્યાં 6 મહિનાની માસૂમ સહિત એક જ પરિવારના 4 લોકોની હત્યા કરીને સળગાવી દેવામાં આવ્યા હતી. આખો પરિવાર સૂતો હતો ત્યારે આરોપીઓએ તેમની હત્યા કરી નાખી અને ત્યારબાદ તેમને આંગણામાં ખેંચી લાવ્યા અને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાની માહિતી મળતાં જ એસપી ગ્રામીણ ધર્મેન્દ્ર સિંહ યાદવ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટના જોધપુરના ઓસિયાં સબડિવિઝનના ચેરાઈ ગામની છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના જોધપુરના ઓસિયાં સબડિવિઝનના ચેરાઈ ગામની છે. ગત રાત્રે જ્યારે એક પરિવાર સૂતો હતો તે સમયે કેટલાક આરોપીઓએ ઘરમાં ઘૂસીને ચાર લોકોની હત્યા કરી નાખી હતી. આમાં છ મહિનાની બાળકી પણ સામેલ છે. હત્યા બાદ આરોપીઓએ મૃતદેહોને આંગણામાં ખેંચી લાવ્યા અને સળગાવી દીધા હતા. લોકોએ સવારે આ જઘન્ય હત્યા અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
એસપી ગ્રામીણ ધર્મેન્દ્ર સિંહ યાદવ ઘટનાસ્થળે પહોંચી ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક એક્સપર્ટસ અપરાધ સ્થળેથી પુરાવા એકત્ર કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મૃતકનો પરિવાર ખેતીકામ કરતો હતો.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ ઘટનાને કેમ અને કોણે અંજામ આપ્યો. બદમાશો ક્યાંથી આવ્યા, કેટલા લોકો હતા અને કયા હથિયારથી હત્યાને અંજામ આપ્યો. પોલીસ આ તમામ એંગલથી તપાસ કરી રહી છે. ઘટનાને લઈને આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.