ઘટનામાં વિપક્ષ કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ઘેરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર પણ આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/07/download-19-10.jpg)
નવી દિલ્હી
મણિપુરમાં બે મહિલાઓને કપડા ઉતારીને પરેડ કરાવવાની શરમજનક ઘટના બની હતી, ત્યારે હવે વિપક્ષ આ મુદ્દાને સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યો છે. વિપક્ષે આ પહેલા પણ ઘણીવાર મણિપુર હિંસા પર પ્રધાનમંત્રી મોદીના મૌન રહેવા પર પ્રશ્નો ઉઠાવ્યા છે ત્યારે હવે નવો વીડિયો સામે આવ્યા બાદ બધા વિપક્ષ ભડક્યા છે અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ટીએમસી સહિત અનેક રાજકીય પક્ષોએ આ ઘટનાની સખત નિંદા કરી છે. આ સાથે જ સરકાર પર પણ સવાલો ઊભા કર્યા છે.
મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટનામાં વિપક્ષ કેન્દ્રમાં રહેલી મોદી સરકારે ઘેરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર પણ આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ આ ઘટનાને સંપૂર્ણપણે અમાનવીય ગણાવી છે અને આ અંગે મુખ્યમંત્રી એન.બિરેન સિંહ સાથે વાત કરી છે. મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે અને દોષિતોને સજા અપાવશે.
કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે આ પૂર્વોત્તર રાજ્યમાં ભારતની વિચારધાર પર હુમલો થઈ રહ્યો છે ત્યારે વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA ચૂપ નહીં રહે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે સમાજમાં સૌથી વધુ હિંસા મહિલાઓ અને બાળકોને સહન કરવી પડે છે. તેમણે સરકારને વધુમાં સવાલ કર્યો કે મણિપુરમાં થયેલી હિંસક ઘટનાઓ પર કેન્દ્ર સરકાર, વડાપ્રધાન કેમ આંખ આડા કાન કરીને બેઠા છે? શું આવી તસવીરો અને હિંસક ઘટનાઓ તેમને પરેશાન કરતી નથી?
આ ઘટના બાદ વિપક્ષો મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મણિપુરમાં મહિલાઓ સાથેની ઘટનાથી સરકાર અને પાર્ટી બંને નારાજ છે, આ દરમિયાન મુખ્યમંત્રીનું રાજીનામું પણ માંગવામાં આવી શકે છે. આ સિવાય સીએમ બિરેન સિંહે પણ આ ઘટનાની સખત નિંદા કરી છે અને આશ્વાસન આપ્યું છે કે આ મામલામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અગાઉ 30 મેના રોજ મણિપુરમાં હિંસક ઘટનાઓને કારણે મુખ્યમંત્રીએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમના સમર્થકોએ તેમને આમ કરતા અટકાવ્યા હતા.