કોંગ્રેસનાં નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા, છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર સળગી રહ્યું છે, પણ વડાપ્રધાન ચુપ રહ્યા
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/07/download-6-13.jpg)
ગ્વાલિયર
મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મોટાભાગના પક્ષો અત્યારથી સક્રિય જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યોજાયેલી જનાક્રોશ રેલીમાં સંબોધન કર્યું… તેમણે કહ્યું કે, ભારતીય રાજનીતિની લડાઈ સત્યની લડાઈ છે. આ દરમિયાન તેમણે મોંઘવારી, બેરોજગારી, કૌભાંડો અને પટવારી ભરતીમાં કથિત કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો… તેમણે કહ્યું કે, જે ઉદ્યોગપતિને વડાપ્રધાને તમામ સંપત્તિ સોંપી દીધી છે, તે એક દિવસમાં 1600 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે, તો બીજી તરફ આપણા ખેડૂતો એક દિવસમાં 27 રૂપિયા પણ કમાઈ શકતો નથી.
આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાને દિલ્હીમાં આયોજીત એક બેઠકમાં દેશના વિપક્ષી નેતાઓ અને પક્ષોને ચોર કહ્યા… વડાપ્રધાને દેશના વરિષ્ઠ નેતાઓનું અપમાન કર્યું… છેલ્લા ઘણા મહિનાઓથી મણિપુર સળગી રહ્યું છે, પણ વડાપ્રધાન ચુપ રહ્યા… તેઓ 77 દિવસ સુધી ચુપ બેસી રહ્યા અને જ્યારે બોલ્યા તો તેમાં પણ રાજકારણ શરૂ કરી દીધું.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું મારા સંબોધનમાં 10 મિનિટ પીએમની ટીકા કરી શકું છું… હું 10 મિનિટ શિવરાજજીની ટીકા કરી શકું છું… હું 10 મિનિટ સિંધિયા પર બોલી શકું છું… પરંતુ હું અહીં સમસ્યાઓ વિશે વાત કરવા આવી છું… હું મોંઘવારી મુદ્દે વાત કરવા આવી છું… તેમણે કહ્યું કે, મોંઘવારી આજે જીવન પર બોજો બની ગયો છે… તેમણે કહ્યું કે, મહિલાઓ મોંઘવારીનો બોજો ઉઠાવી રહી છે. આવા સમયે લોકોની ટીકા કરવી મને યોગ્ય નથી લાગતી. નેતાઓએ ચૂંટણી દરમિયાન પ્રજાના મુદ્દા પર વાત કરવી જોઈએ… તેમણે કહેવું પડશે કે, મોંઘવારી કેમ છે, બેરોજગારી કેમ છે.
સંબોધન દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જે રાજ્યોમાં અમારી સરકાર છે, ત્યાં જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પણ સરકાર બન્યા બાદ જુની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. મહિલાઓના બેંક ખાતામાં દર મહિને 1500 રૂપિયા મોકલવામાં આવશે, 500 રૂપિયામાં રસોઈ ગેસ સિલિન્ડર આપવામાં આવશે, 100 યૂનિટ વીજળી ફ્રી અપાશે અને અડધા ભાવે 200 યૂનિટ વીજળી અપાશે… ઉપરાંત ખેડૂતો પર લોન માફીનું કામ પૂર્ણ કરવામાં આવશે… ઉપરાંત પ્રિયંકાએ કમલનાથને કહ્યું કે, કોંગ્રેસની સરકાર બન્યા બાદ દિવ્યાંગોને મળતા પેન્શનમાં વધારો કરવામાં આવશે…