કેરળના ખેડૂતોએ કર્ણાટકના આદુ ઉત્પાદક ક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/07/download-14-13.jpg)
કોઝિકોડ
આદુના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચત કર્ણાટકમાં આદુનું વાવેતર કરનારા કેરળના હજારો ખેડૂતો ચોરોના ત્રાસનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું હતું કે, તાજા આદુનો ભાવ 100 કિલો જ્યારે જૂના આદુનો ભાવ 192 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હોવાથી ચોર આદુને આકર્ષક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, ચોરો તેમના ખેતર પર હુમલો કરે છે. માત્ર રાતે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ જ્યારે ખેતરની દેખરેખ કરનારા લોકો થોડા સમય માટે આઘાપાછા થાય છે ત્યારે તેઓ ઘૂસીને આદુ ચોરી લે છે. કેરળના ખેડૂતોએ કર્ણાટકના આદુ ઉત્પાદક ક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બેલિગેર પોલીસે આદુ ચોરીના મામલે એક શખ્સની ધરપકડ કરી હતી તેમજ અન્યને કસ્ટડીમાં લીધો હતો.
‘અમારા અસોસિએશન સાથે જોડાયેલા 25 ખેડૂતો આદુની ચોરીનો ભોગ બન્યા હતા. હવે, ખેડૂતો અને રખેવાળ પણ સુરક્ષાના જોખમનો સામનો કરી રહ્યા છે. કારણ કે, આદુ ચોરવા આવતા શખ્સ તેમના પર પણ હુમલો કરી શકે છે. પહેલા આવી એક ઘટના બની ચૂકી છે, જેમાં પુલપલ્લી પાસે આવેલા પેરીક્કલૂરનો ખેડૂત હુમલામાં ઈજાગ્રસ્ત થયો હતો’, તેમ નેશનલ ફાર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશનના (એનએફપીઓ) ચેરમેન ફિલિપ જ્યોર્જે જણાવ્યું હતું.
‘સામાન્ય રીતે જ્યારે વાવેતર અને ફળદ્રુપતા જેવા મોટા કામો હાથ ધરવામાં આવે ત્યારે ખેડૂતો ખેતરમાં જ રહે છે, જ્યારે બાકીના સમયમાં તેઓ ખેતરની દેખરેખ માટે એક રખેવાળ રાખે છે. પરંતુ 24 કલાક ખેતરો પર નજર રાખવી મુશ્કેલ છે. રાતે જ્યારે રખેવાળ ન હોય ત્યારે ચોર ત્રાટકતા હોય છે’, તેમ તેમણે ઉમેર્યું હતું. જ્યોર્જે કહ્યું હતું કે, કર્ણાટકના એક ખેડૂતે તેની 10 એકર જમીનમાં આદુનું વાવેતર કર્યું હતું અને તેમાંથી 1.5 એકરમાં વાવેલું આદુ ચોર ઉપાડી ગયા હતા. કેરળના કેટલાક ખેડૂતો અડધા એકરમાં ઉગાડેલું આદુ ગુમાવી બેઠા હતા, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
એનએફપીઓના વાઈસ ચેરમેન અજય કુમાર વીએલએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં આદુના ખેડૂતો ભાવમાં ઘટાડાનો સામનો કરી રહ્યા હતા અને 60 કિલોની બોરીનો ભાવ 700 રૂપિયાએ પહોંચી ગયો હતો, જે એક કિલો માત્ર 11.6 રૂપિયાના ભાવે વેચાતું હતું. ‘અમને મૈસૂર, હાસન અને માંડ્યા જિલ્લાઓના ખેડૂતો પાસેથી ચોરીની ઘણી ફરિયાદો મળી છે, જ્યાં આશરે આદુનું વાવેતર કરતાં આશરે 4 હજારથી વધુ ખેડૂતો છે’, તેમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે, ખેડૂતોએ હવે તેમના ખેતરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કર્યું છે. તેઓ ચોરીના કારણે નુકસાન સહન કરી શકતા નથી કારણ કે તેઓ એક એકર જમીન 1.2 લાખ રૂપિયાની લીઝ પર લે છે.