ડેન્ગ્યુના વધતા કેસોને કારણે, બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ મંગળવારે ડેન્ગ્યુની જાગૃતિ અને નિવારણના ઉદ્દેશ્યથી પાંચ નિર્દેશો જારી કર્યા
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-14.jpg)
ઢાકા
બાંગ્લાદેશમાં પણ ડેન્ગ્યૂનો કહેર યથાવત છે. ડેન્ગ્યૂના કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજધાની ઢાકા સહિત તમામ વિસ્તારોની હોસ્પિટલો ડેન્ગ્યૂ અને ડેન્ગ્યૂના લક્ષણો ધરાવતા દર્દીઓથી ઉભરાઈ ગઇ છે. બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 54,416 કેસ નોંધાયા છે. જૂનમાં બાંગ્લાદેશમાં 5075 જ કેસ હતા જે જુલાઈમાં વધીને 54 હજારને વટાવી ગયા હતા.
અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના કારણે મૃત્યુઆંક 261 પર પહોંચી ગયો છે. બાંગ્લાદેશી આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં લગભગ 2584 વાયરલ તાવના દર્દીઓ નોંધાયા હતા. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 2584 દર્દીઓમાંથી 1131 દર્દીઓ ઢાકાની હોસ્પિટલમાં દાખલ છે જ્યારે અન્ય દર્દીઓ અન્ય શહેરોમાં સારવાર હેઠળ છે. આ સમયગાળા દરમિયાન બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના 9264 સક્રિય કેસ હતા. તેમાંથી ઢાકામાં 4869 ડેન્ગ્યુના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે બાકીના દર્દીઓ દેશના વિવિધ વિસ્તારોમાં દાખલ છે. અત્યાર સુધીમાં કુલ 54,416 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જેમાંથી 44,891 લોકો સ્વસ્થ થયા છે.
ડેન્ગ્યુના વધતા કેસોને કારણે, બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ મંગળવારે ડેન્ગ્યુની જાગૃતિ અને નિવારણના ઉદ્દેશ્યથી પાંચ નિર્દેશો જારી કર્યા. આવામી લીગના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદિરે પાર્ટીના કાર્યકરો સહિત દરેકને આ સૂચનાનો અમલ કરવા વિનંતી કરી.
આ છે પીએમની પાંચ સૂચનાઓ
- મચ્છરદાનીનો ઉપયોગ કરો
- તમારી આસપાસ પાણી એકઠું ન થવા દો
- આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ અને મચ્છરોથી મુક્ત રાખવામાં આવે
- શહેરો, નગરો, ગામડાઓ, મોહલ્લાઓ અને બજારોમાં લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા.
- તમામ વિસ્તારોમાં મચ્છર નાબૂદી અભિયાન ચલાવવામાં આવે.