2024 પહેલા રામ મંદિર પર ‘ગજવા એ હિંદ’ જેવા આતંકી સંગઠન હુમલાનો પ્રયાસ કરી શકે છેઃ એસકે સૂદ
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-11.jpg)
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે આશંકા વ્યક્ત કરી છે કે 2024માં પુલવામા અને બાલાકોટ જેવુ કંઈક થઈ શકે છે. એટલુ જ નહીં, તેમણે અયોધ્યાના રામ મંદિર પર પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના બાલાકોટમાં જે સ્ટ્રાઈક થઈ શકે છે, તેમાં આ વખતે કેટલાક જવાન પણ મોકલવામાં આવી શકે છે. વર્ષ 2019માં ત્યાં માત્ર એર સ્ટ્રાઈક થઈ હતી.
બીએસએફના ભૂતપૂર્વ એડીજી અને સુરક્ષા બાબતોના નિષ્ણાત એસકે સૂદે કહ્યુ, 2024 પહેલા રામ મંદિર પર ‘ગજવા એ હિંદ’ જેવા આતંકી સંગઠન હુમલાનો પ્રયાસ કરી શકે છે. આને ધ્યાનમાં રાખતા કાશી, મથુરા અને અયોધ્યામાં સ્થિત મંદિરોની સુરક્ષાને ત્રણ ગણી વધારવામાં આવે. પુલવામામાં થયેલા સીઆરપીએફ હુમલા અંગે તેમણે કહ્યુ, સરકાર આ મામલા અંગે રહસ્ય અકબંધ રાખવા માંગે છે. જવાનોને તે બસમાં બેસાડવામાં આવ્યા હતા, જે પથ્થર પણ સહન કરી શકતી નહોતી.
મંગળવારે કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ‘રાષ્ટ્રીય સુરક્ષા બાબતો, ચિંતાઓ અને જવાબદારી’ વિષય પર એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશાંત ભૂષણ અને એસકે સૂદ સહિત ઘણા નિષ્ણાતોએ આ સંમેલનમાં પોતાનો મત મૂક્યો હતો. પ્રશાંત ભૂષણે કહ્યુ, પુલવામાના આતંકી હુમલા અંગે ઘણા પ્રશ્નો છે. તે હુમલો કેવી રીતે થયો, કેમ થયો, આ બાબતના ઘણા તથ્ય સામે આવી ચૂક્યા છે. પહેલી વાત તો એ હતી કે જવાનોને ઈન્ટેલિજન્સ એલર્ટ છતાં માર્ગ પરથી કેમ મોકલવામાં આવ્યા. તેમને પ્લેન દ્વારા કેમ ના લઈ જવાયા. પુલવામા હુમલાના એક મહિલા પહેલા 11 ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા હતા, પરંતુ તેને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા. સુરક્ષા દળો માટે નક્કી એસઓપીનું પાલન કરવામાં આવ્યુ નહીં. 300 કિલોથી વધુ આરડીએક્સ લઈને ગાડી ફરતી રહી, પરંતુ કોઈને ખબર જ ના પડી.