મનોજે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરતાં લખ્યુ કે, આ રમતે મને ઘણું બધું આપ્યું છે, જેની મેં ક્યારેય આશા પણ નહોતી કરી
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-21.jpg)
નવી દિલ્હી
ભારત માટે 15 મેચ રમી ચૂકેલા ક્રિકેટર મનોજ તિવારીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હાલમાં તેઓ પશ્ચિમ બંગાળના રમતગમત અને યુવા બાબતોના મંત્રી છે.
મળતી માહિતી પ્રમાણે આ ક્રિકેટરે ગુરુવારે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. મનોજે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરતાં લખ્યુ કે, “આ રમતે મને ઘણુ બધુ આપ્યુ છે, જેની મેં ક્યારેય આશા પણ નહોતી કરી.”
ક્રિકેટર મનોજે તેમની કારકિર્દીના અંતે સૌનો આભાર માન્યો હતો. તેણે તેના તમામ કોચ, સાથી ખેલાડીઓ અને માતા-પિતાનો આભાર માન્યો હતો. આ સિવાય મનોજે તેની પત્ની સુસ્મિતા રોયનો પણ આભાર માન્યો હતો.
સંન્યાસ લેતા ખેલાડીએ પત્ની સુસ્મિતા રોયનો આભાર માન્યો હતો. પત્નીનો આભાર માનતાં મનોજે લખ્યું કે, “મારી પત્ની સુસ્મિતા રોયનો ખૂબ ખૂબ આભાર, જે મારા જીવનમાં આવ્યા ત્યારથી હંમેશા મારી સાથે છે. તેમના સમર્થન વિના, હું આજે જીવનમાં જ્યાં છું ત્યાં સુધી પહોંચી ન શકત.
જ્યારે મનોજે પોતાની નિવૃત્તિ વિશે લખ્યું, “ક્રિકેટની રમતને અલવિદા. આ રમતે મને બધું જ આપ્યું છે, મારો મતલબ કે, એ બધી જ વસ્તુ જેની મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી, જે એ સમયથી શરૂ થાય છે જ્યારે મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી.”
ફેબ્રુઆરી 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર મનોજ તિવારે તેની કારકિર્દીમાં 12 ODI અને 3 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. વનડેમાં તેણે 26.09ની એવરેજથી 287 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેણે T20 ઇન્ટરનેશનલની એક ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા.
મનોજના નેતૃત્વમાં બંગાળની ટીમ રણજી ટ્રોફી 2023ની ફાઇનલમાં પહોંચી હતી. જોકે બંગાળની ટીમને ફાઇનલમાં સૌરાષ્ટ્ર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મનોજે 141 ફર્સ્ટ ક્લાસ મેચમાં 48.56ની એવરેજથી 9908 રન બનાવ્યા છે. જેમાં 29 સદી અને 45 અડધી સદી સામેલ છે.