દરેક પક્ષને હિંસાથી દૂર રહેવા અપીલ, અમેરિકનો પાસેથી ઘટચના અંગે જાણ્યા બાદ ડિપાર્ટમેન્ટ એમ્બેસીનો સંપર્ક કર્યો
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-3-1.jpg)
વોશિંગ્ટન
હરિયાણાના મેવાત જીલ્લાના નૂહમાં એક યાત્રા પર હુમલા બાદ ફાટી નીકળેલી હિંસાની આગ ગુરુવારે ચોથા દિવસે દક્ષિણ હરિયાણામાં ફેલાઈ ગઈ હતી. ગુરુગ્રામ અને આસપાસના વિસ્તારોમાં શાંતિ અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે સરકારે શનિવાર સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શાંતિ માટે હાકલ કરી અને પક્ષોને હિંસાથી દૂર રહેવા વિનંતી કરી છે.
અમેરિકી પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે હંમેશની જેમ અમે દરેકને શાંત રહેવાની અપીલ કરીએ છીએ. અમને આ વિશે ખબર નહોતી. અમેરિકાના લોકો પાસેથી સાંભળ્યું. ત્યારબાદ એમ્બેસીનો સંપર્ક કર્યો.
મેવાત જીલ્લામાંથી પસાર થઇ રહેલી યાત્રા સોમવારે બપોરે નૂહમાં પહોંચી ત્યારે હિંસા ફાટી નીકળી હતી, જેની આગ સમગ્ર દક્ષિણ હરિયાણામાં ફેલાઈ ગઈ હતી. રમખાણોમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જેમાંથી બે હોમગાર્ડ અને ચાર નાગરિક છે. તે જ સમયે, લગભગ 20 પોલીસકર્મીઓ સહિત ડઝનેક લોકો હિંસાની ઝપેટમાં આવી ગયા છે.
સાંપ્રદાયિક હિંસાની તપાસ માટે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સિટ)ની રચના કરવામાં આવી છે. તે જ સમયે, મુખ્ય પ્રધાન મનોહરલાલે હિંસામાં થયેલા નુકસાનને માત્ર બદમાશો પાસેથી વસુલાત કરવાની જાહેરાત કરી હતી. સરકારે શાંતિ અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે નૂહ, ફરીદાબાદ અને પલવલ જિલ્લાના અધિકારક્ષેત્રમાં અને ગુરુગ્રામ જિલ્લાના સોહના, પટૌડી અને માનેસર પેટા વિભાગોના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં 5 ઓગસ્ટ સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે.
હરિયાણાના ગૃહ સચિવ દ્વારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર અને તંગ છે.