એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, તો અન્ય સાત શ્રમિકને ઇજા પહોંચતા કરજણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-6-1.jpg)
વડોદરા
વડોદરાના કંબોલામાં રેલવે કોરિડોરની કામગીર સમયે ભંયકર દુર્ઘટના ઘટી હતી. જેમાં એકનું મોત થયું છે અને સાત લોકોને ઇજા પહોંચી છે. અહીં રેલવે કોરિડોરની કામગીરી દરિયાન અચાનક વિશાળ ક્રેન ધરાશાયી થતાં તેની નીચે શ્રમિકો દટાઇ ગયા હતા, ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, તો અન્ય સાત શ્રમિકને ઇજા પહોંચતા કરજણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટના સ્થળે પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. ક્રેન એટલી વિશાળ અને તોતિંગ છે કે, તેના ધરાશાયી થવાથી પુલનો કેટલોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા મેળવવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ધારાસભ્ય અક્ષય પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. હાલ સાતેય ઇજાગ્રસ્ત શ્રમિકની સારવાર કરજણ આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહી છે. સાત ઇજાગ્રસ્તોમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.
નોંધનિય છે કે, હાલ વડોદરાના કરજણ નજીક બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન કેટલાક શ્રમિકો કામ કરી રહ્યાં હતા. કામગીરી દરમિયાન અચાનક ક્રેન નીચેની તરફ ધસી પડી હતી. જો કે ક્રેન ક્યાં કારણે અચાનક ધરાશાયી થઇ તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.