રેટિંગ એજન્સી ક્રિસિલના જણાવ્યા પ્રમાણે આવતા મહિને મંડીઓમાં ડુંગળીની આવક ઘટી શકે છે જેના કારણે ભાવમાં વર્તમાન ભાવ કરતાં બમણાથી અઢી ગણો વધારો થઈ શકે છે
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-26-2.jpg)
નવી દિલ્હી
મોંઘવારીના વધુ એક માર માટે તૈયાર થઈ જાઓ. ગૃહિણીઓનું રસોડાનું બજેટ વધુ એક વખત ખોરવાઈ શકે છે. સમગ્ર દેશમાં ટામેટાના ભાવ આસમાન પહોંચ્યા છે. ક્યાંક ટામેટા રૂ.120 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે તો ક્યાંક રૂ.200ને પાર કરી ગયા છે. જોકે કેટલીક જગ્યાએ ટામેટાંના ભાવમાં રાહત જોવા મળી છે. ત્યારે હવે ડુંગળી લોકોને રડાવશે. ડુંગળીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળીના ભાવમાં રેકોર્ડ વધારો થઈ શકે છે. હાલમાં ડુંગળીનો ભાવ રૂ.28 થી રૂ.32 છે.
મે-જૂન મહિનામાં 10 થી 20 રૂપિયામાં મળતી ડુંગળી સપ્ટેમ્બરમાં તેના રંગમાં આવી શકે છે. સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ 60 થી 70 રૂપિયાને પાર થવાની આશંકા છે. રેટિંગ એજન્સી ક્રિસિલના જણાવ્યા પ્રમાણે આવતા મહિને મંડીઓમાં ડુંગળીની આવક ઘટી શકે છે જેના કારણે ભાવમાં વર્તમાન ભાવ કરતાં બમણાથી અઢી ગણો વધારો થઈ શકે છે. જોકે ઓક્ટોબરમાં નવા પાકના આગમન સાથે ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે.
માંગ-પુરવઠાના અસંતુલનની અસર ઓગસ્ટના અંત સુધીમાં ડુંગળીના ભાવ પર જોવા મળે તેવી શક્યતા છે. સપ્ટેમ્બરની શરૂઆતથી રિટેલ માર્કેટમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે અને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો કે, કિંમતમાં આટલા વધારા પછી પણ આ વધેલી કિંમત 2020ના સર્વોચ્ચ સ્તરથી નીચે જ રહેશે.
અહેવાલ પ્રમાણે રવિ ડુંગળીની શેલ્ફ લાઇફ 1-2 મહિના ઓછી થવાને કારણે અને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વેચવાથી ઓપન માર્કેટમાં રવિ સ્ટોક સપ્ટેમ્બરને બદલે ઓગસ્ટના અંત સુધીમાં ઘટવાની ધારણા છે જેના કારણે 15-20 દિવસ માટે મંદીની સીઝન રહેશે જેનાથી બજારમાં પુરવઠાની અછત અને ઊંચા ભાવનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. ઓક્ટોબરમાં ડુંગળીનો નવો પાક આવતા ભાવમાં ઘટાડો થઈ શકે છે.