આ કમિટી તપાસ, રાહત કાર્યો, સારવાર, વળતર, પુર્નવસન વગેરે કામો પર નજર રાખશે, ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ ત્રણ પૂર્વ જજોની સમિતિની અધ્યક્ષતા કરશે
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-45-1.jpg)
નવી દિલ્હી
મણિપુરમાં છેલ્લા ઘણા મહિનાઓથી હિંસાઓ ચાલી રહી છે અને હજુ પણ હિંસા થમવાનું નામ લેતી નથી, ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જાતીય હિંસા સંબંધીત અરજી અંગે સુનાવણી હાત ધરી હતી. સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર.વેંકટરમાનીએ કોર્ટમાં જણાવ્યું કે, સરકાર મણિપુર હિંસાની ઘટનાઓને ખૂબ જ પરિપક્વતા સાથે સંભાળી રહી છે. તેમણે કહ્યું કે, હિંસા પ્રભાવિત 6 જિલ્લામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બનેલી એસઆઈટીની રચના કરવામાં આવશે.
એટર્ની જનરલે કહ્યું કે, એસઆઈટીના અધ્યક્ષ તરીકે પોલીસ અધિક્ષક સ્તરના અધિકારીઓને મુકાશે. આ એસઆઈટી હિંસાની તપાસ કરશે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની તપાસ માટે મહિલા પોલીસ અધિકારીની બનેલી એસઆઈટી રચના કરવામાં આવશે. ડીજીપી સ્તરના પોલીસ અધિકારીઓ આ એસઆઈટી ટીમોના કામકાજ પર નજર રાખશે.
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, મહિલાઓ વિરુદ્ધ 12 કેસોની તપાસ સીબીઆઈ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, તપાસ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ જોડાયેલા અન્ય કેસો સામે આવશે તો તેની પણ તપાસ સીબીઆઈ દ્વારા કરાશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આઈપીએસ અધિકારી સીબીઆઈ તપાસની દેખરેખ રાખશે. કોર્ટે કહ્યું કે, તપાસના મામલાઓ સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવાયા છે, જોકે કાયદાના શાસનમાં વિશ્વાસ સુનિશ્ચિત કરવા વિવિધ રાજ્યોમાંથી સીબીઆઈમાં લાવવા માટે ઓછામાં ઓછા ડેપ્યુટી એસપી રેંકના પાંચ અધિકારીઓ હોવાનો નિર્દેશ આપવાનો પ્રસ્તાવ છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ હાઈકોર્ટના ત્રણ પૂર્વ મહિલા જજોની એક કમિટી બનાવવાનો આદેશ કરશે. આ કમિટી તપાસ, રાહત કાર્યો, સારવાર, વળતર, પુર્નવસન વગેરે કામો પર નજર રાખશે. ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ ત્રણ પૂર્વ જજોની સમિતિની અધ્યક્ષતા કરશે અને આ સમિતિમાં ન્યાયમૂર્તિ શાલિની જોશી, ન્યાયમૂર્તિ આશા મેનન પણ સામેલ હશે.