ઘટનામાં દુકાનના સંચાલકને ઈજા થઈ, પોલીસે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-43-2.jpg)
ગુરુગ્રામ
ચાર દિવસની હિંસા બાદ અરાજક તત્વો ગુરુગ્રામમાં શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોમવારે રાત્રે ફરી એકવખત તોફાની તત્વોએ સેક્ટર પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીઆરપીએફ ચોક પાસે સ્થિત એક માંસની દુકાન પર પથ્થરમારો કર્યો હતો.
પીડિતે પોલીસ સ્ટેશનમાં બદમાશો વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. મૂળ બિહારના બેગુસરાય જિલ્લાના રહેવાસી મોહમ્મદ જાવેદે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે શીતલા કોલોની પાસે ભાડેથી રહે છે અને સીઆરપીએફ ચોક પાસે ભાડા પર માંસની દુકાન ચલાવે છે. આ ઘટનામાં મોહમ્મદ જાવેદને સામાન્ય ઈજા પણ પહોંચી છે.
સોમવારે રાત્રે 8:00 વાગ્યે તેઓ તેમની દુકાનની અંદર કામ કરી રહ્યા હતા તે દરમિયાન બહારથી પથ્થરમારો થતાં તેમની દુકાનના કાચ તૂટી ગયા હતા. જ્યારે તેણે બહાર આવીને જોયું તો 10-12 માસ્ક પહેરેલા યુવકો તેની દુકાન પર પથ્થરમારો કરી રહ્યા હતા. તેમના અવાજથી આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે આ મામલાને સાંપ્રદાયિક હિંસા સાથે સબંધિત હોવાનો ઈનકાર કર્યો છે.
જાવેદની ફરિયાદ બાદ સોમવારે મોડી રાત્રે સેક્ટર 5 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323 (નુકસાન પહોંચાડવા), 147 (હુલ્લડો), 149 (ગેરકાયદેસર સભા), 427 (નુકસાન પહોંચાડવા) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ શંકાસ્પદોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હુમલાખોરોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.