મુંબઈના ગ્લોબલ મ્યુઝીક જંકશનની ઓફિસમાં તોડફોડ કરી વેપારીનું અપહરણ કરી વિધાનસભ્ય પ્રકાશ સુર્વેની ઓફિસમાં લઇ જવામાં આવ્યો
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-3-4.jpg)
મુંબઈ
બંદૂકની અણીએ મુંબઈના એક વેપારીના અપહરણ કરવા બાબતે શિંદે જૂથના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના દિકરા સહિત કેટલાક લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 10 થી 15 લોકોએ બુધવારે 9 ઓગષ્ટના રોજ બપોરે મુંબઈના ગ્લોબલ મ્યુઝીક જંકશનની ઓફિસમાં તોડફોડ કરી વેપારીનું અપહરણ કરી વિધાનસભ્ય પ્રકાશ સુર્વેની ઓફિસમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં આ વેપારીને મારમારી સ્ટેમ્પ પેપર પર જબરદસ્તી સહી કરી કરારનામુ રદ કર્યાનું લખાવી લીધું હોવાનો આક્ષેપ ફરિયાદી રાજકુમાર સિંહે કરી છે. મુંબઈના વનરાઈ પોલીસ સ્ટેશનમાં મનોજ મિશ્રા, પદ્માકર, રાજ સુર્વે, વિકી શેટ્ટી અને અન્ય 10 થી 12 અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકુમાર સિંહે ફરિયાદમાં કહ્યું કે, તેણે મનોજ મિશ્રા સાથે એક વર્ષનો કરાર કર્યો હતો. મનોજ મિશ્રાએ પૈસા પાછા ન કરતાં આ જ કરારનામુ બળજબરીએ રદ કરી ગાળો આપી મારપીટ કરી હતી. પછી મને કાર્યાલયમાંથી જબરદસ્તી ખેંચીને કારમાં બેસાડી દહિસરમાં પ્રકાશ સુર્વેની ઓફીસમાં લઇ જવામાં આવ્યો હતો. અને ત્યાં જબરદસ્તી 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર મનોજ મિશ્રા સાથે થયેલ કરાર રદ કર્યો છે એમ લખાવી લીધું.
ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ વ્યપરીને અપહરણકારો પાસેથી છોડાવ્યો હતો. પીડિત રાજકુમારના વકીલ સદાનંદ શેટ્ટીએ જાણકારી આપી કે, આ આખો મામલો સાડા આઠ કરોડ રુપિયાનો છે. રાજકુમાર આદિશક્તિ ફિલ્મના માલીક અને આરોપી મનોજ મિશ્રાને સંગીત નિર્માણ માટે સાડા આઠ કરોડ રૂપિયા આપ્યા હતા.
આ અંગે વનરાઈ પોલીસ સ્ટેશનમાં સ્થાનીક વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના દિકરા રાજ સુર્વે સહીત અન્ય લોકો સામે અપહરણના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.