હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-20-4.jpg)
સિમલા
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયુ હતું જેના કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો છે. ચક્કી મોર પાસે કાલકા-શિમલા નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરાયો છે. હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
આ કાલકા-શિમલા હાઈવે બંધ થતા ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ ભૂસ્ખલનને કારણે હાઈવેને એક સપ્તાહ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. હજુ બે દિવસ હાઈવેને ફરીથી ખોલવામાં આવ્યો હતો. આજથી તેના પર લોડેડ ટ્રકો પસાર થવાના હતા ત્યા જ રાત્રે ફરીથી ભૂસ્ખલન થતા હાઈવેને બંધ કરવાની ફરજ પડી હતી. હિમાચલમાં આ વર્ષે વરસાદે ભારે તારાજી સર્જી છે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલલની ઘટનાઓ બની રહી છે જેના પગલે વાહન વ્યવહારને અસર પડી રહી છે.
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની સિઝન દરમિયના ઘણા લોકોના મોત થયા છે જેમા કુલ મૃત્યુઆંક 234 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. સિરમૌર જિલ્લાના પરાલા મંડી અને સિરમૌરીતાલ ગામ પાસે ભૂસ્ખલનમાં દટાયેલા બે મૃતદેહ મળી આવ્યા છે.
હિમાચલ પ્રદેશના ચંદીગઢ-શિમલા હાઈવે પર 1 ઓગસ્ટ, 2023ના રોજ સાંજે ભારે વરસાદ પડ્યા બાદ ચકી મોર પાસે ભૂસ્ખલનને કારણે એનએચનો 50 મીટરનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જો કે 2 ઓગસ્ટની બપોર સુધીમાં તેને હળવા વાહનો માટે ખોલવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ ફરી વરસાદ પડ્યો હતો જેના પગલે ભૂસ્ખલન થયુ હતું અને ફરીવાર NHને નુકસાન થયું હતું. ત્યારથી અત્યાર સુધી હાઈવે પર વાહનોની અવરજવર ઠપ્પ થઈ હતી, જો કે બે દિવસ પહેલા આ હાઈવે ખોલવામાં આવ્યો હતો ત્યાં ગઈકાલે ભૂસ્ખલન થતા ફરીથી બંધ કરવામાં આવ્યો છે.