પતિની કોઈ આવક નથી એ સાબિત કરતા કોઇ પુરાવા નથી
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-15-6.jpg)
મુંબઈ
મુંબઈની એક કોર્ટે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ નિર્ણયમાં પતિને તેનાથી અલગ રહેતી પત્નીને વચગાળાનું ભરણપોષણ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે તે પતિ પાસે ભલે કોઈ આવક ન હોય છતાં પણ ભરણપોષણ આપવા સક્ષમ છે.
મઝગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું હતું કે પતિની કોઈ આવક નથી એ સાબિત કરતા કોઇ પુરાવા નથી. પત્નીએ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં તેનું વિઝિટિંગ કાર્ડ અને કેટલીક અન્ય પોસ્ટ હતી. પત્નીના કહેવા પ્રમાણે આ બાબતો દર્શાવે છે કે તે નોકરી કરી રહ્યો છે. જ્યારે પતિએ જણાવ્યું હતું કે જ્યારે તેના લગ્ન થયા ત્યારે પણ તેની પાસે ક્યારેય નોકરી ન હતી. વર્ષો સુધી તે નિશ્ચિત આવક માટે ક્યારેય નોકરી કરી નથી.
આ તમામ દસ્તાવેજોને ધ્યાનમાં લીધા બાદ મેજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્વીકાર્યું કે દસ્તાવેજોમાં પતિની આવક દર્શાવવામાં આવી નથી. જો કે, તે સ્વસ્થ વ્યક્તિ છે અને તેની પત્નીનું ભરણપોષણ કરવુ એ તેની ફરજ છે. પતિએ વચગાળાના ભરણપોષણ તરીકે તેનાથી અલગ રહેતી પત્નીને દર મહિને 5000 રૂપિયા અને બંને પુત્રોને દર મહિને 3000 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
પત્ની દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. પત્નીએ જણાવ્યું કે જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે તેઓ મુંબઈ ઉપનગરમાં ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. ત્યાં પતિએ તેની સાથે મારપીટ કરી હતી અને કોઈ બીજા સાથે ગેરકાયદેસર સંબંધો રાખ્યા હતા. પત્નીના વકીલે કહ્યું કે પત્ની અને તેમના બાળકો આર્થિક રીતે પતિ પર નિર્ભર છે. પત્નીએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કોર્ટમાં અરજી કરી હતી. પતિનો આરોપ છે કે પત્નીએ તેની સામે ઘરેલુ હિંસા અને બળાત્કારની એફઆઈઆર નોંધાવી હતી.
આ કેસમાં ધરપકડ થઈ ત્યારથી પતિ જેલમાં છે. તેથી જ તેની પાસે કોઈ નોકરી નથી. જો કે, એડિશનલ સેશન્સ જજ એન.પી. ત્રિભુવને જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટે કાનૂની અને તથ્યલક્ષી પાસાઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રશંસા કરી છે. પત્નીની અરજી મંજૂર કરવામાં કોઈ ભૂલ કરી નથી અને પતિની અપીલને ફગાવી દીધી હતી.