સરકારનો ઐતિહાસિક નિર્ણય સ્થાનિક યુવાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરશે
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-17-5.jpg)
નવી દિલ્હી
કેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓ માટે સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) દ્વારા આયોજિત કરવામાં આવતી ભરતી પરીક્ષા 15 ભાષાઓમાં યોજવાનો નિર્ણય લીધો છે જેથી દેશનો કોઈ પણ યુવાન નોકરીના અવસરથી ચૂકી ન જાય.
કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયની 14મી હિન્દી સલાહકાર સમિતિની બેઠકને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ ઐતિહાસિક નિર્ણય સ્થાનિક યુવાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપશે અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરશે.
કાર્મિક રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે સવાલો હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓ અસમિયા, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઉડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી અને કોંકણીમાં પણ પૂછાશે. એસએસસી દ્વારા આયોજિત કરાતી ભરતી પરીક્ષાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગત 9 વર્ષોથી વધુ સમયમાં સત્તાવાર ભાષા હિન્દી ઉપરાંત ભારતીય પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવામાં ઉલ્લેખનીય પ્રગતિ થઈ છે.