દેશમાં દર વર્ષે 6.5 કરોડ ટન કચરો પેદા થાય છે અને તેના 2030 સુધી વધીને 16.5 કરોડ ટન તથા 2050 સુધીમાં 43.6 કરોડ ટન થવાનું અનુમાન
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-30-5.jpg)
નવી દિલ્હી
દેશભરમાં કચરાનો ઉપયોગ કરી વાર્ષિક 65000 મેગાવોટ વીજળી પેદા કરી શકાય છે. જે 2030 સુધીમાં 1.65 લાખ મેગાવોટ અન 2050 સુધીમાં 4.36 લાખ મેગાવોટ સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોએ આ માહિતી આપી હતી.
તાજેતરમાં જ વેસ્ટ મેનેજમેન્ટ માટે આયોજિત નિષ્ણાતોની બે દિવસની વર્કશોપમાં આ શ્વેતપત્ર તૈયાર કરાયો હતો. તેમાં કહેવાયું હતું કે દેશમાં દર વર્ષે 6.5 કરોડ ટન કચરો પેદા થાય છે અને તેના 2030 સુધી વધીને 16.5 કરોડ ટન તથા 2050 સુધીમાં 43.6 કરોડ ટન થવાનું અનુમાન છે. ડૉક્યુમેન્ટ અનુસાર નગરપાલિકા ક્ષેત્રમાં લગભગ 75-80 ટકા કચરાને એકઠું કરાય છે અને તેમાંથી ફક્ત 22થી 28 ટકાને પ્રોસેશ કરાય છે અને બીજા કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે.
વર્કશોપમાં ઈન્ટરનેશનલ ક્લાઈમેટ ચેન્જ એન્ડ સસ્ટેનેબિલિટી એક્શન ફાઉન્ડેશન, ભારતીય ટેક્નોલોજી સંસ્થાન, આઈએસએમ (ધનબાદ), ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિઝ (ટીઆઈએસએસ) ના નિષ્ણાતો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ દરમિયાન નિષ્ણાતોએ કચરો નાખવાની જગ્યાએ વધતા કચરાનો નિકાલ લાવવા માટેની રીત પર ચર્ચા કરી હતી.
શ્વેતપત્રમાં જણાવાયું છે કે ભારતમાં કચરાના ડમ્પિંગ માટે કુલ 3159 સ્થળ છે. તે દેશના લગભગ 20% મિથેન ઉત્સર્જન માટે જવાબદાર છે. બીજી બાજુ તે કચરામાંથી ઊર્જાનું રૂપાંતરણ અને હરિત નોકરીઓના સર્જનની તક પૂરી પાડે છે. તેમાં કહેવાયું છે કે એક કિલોવોટ વીજળી પેદા કરવા માટે એક ટન કચરો પર્યાપ્ત છે. જોકે વાસ્તવિક ઉત્પાદન કચરાની ગુણવત્તા પર નિર્ભર કરે છે.