![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-34-4.jpg)
અમદાવાદ
ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા PMJAY યોજના હેઠળ ઘટાડેલા દરના વિરોધમાં તા.14 થી 16 ઓગસ્ટ PMJAY યોજના અંતર્ગત ડાયાલિસીસ બંધ રાખવામાં આવેલા. તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી.
ગુજરાતના લાખો ડાયાલિસીસ દર્દીઓના પ્રશ્નને સરકાર ગંભીરતાથી લેતી નથી. ડાયાલિસીસ એ ખુબ જ જટિલ પ્રોસેસ છે. તેમાં નેફ્રોલોજિસ્ટનું માર્ગદર્શન અને દેખરેખ ખુબ જ જરૂરી છે. કાયદાકીય રીતે પણ ડાયાલિસીસ નેફ્રોલોજીસ્ટના માર્ગદર્શન વગર શક્ય નથી.
આ દરમિયાન ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિયેશનની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ અન્ય ભાજપ અગ્રણી નેતાઓ સાથે મુલાકાત યોજાઈ હતી, તેમણે તાકીદે આ પ્રશ્નનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
આગળની વાતચીત માટે તા.21/08/2023 સોમવારે નેફ્રોલોજી એસોસિયેશનની માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક યોજાવા જઈ રહી છે. GNA મેમ્બર્સ ને આશા છે કે ડાયાલિસીસ દર્દીઓ માટેના આ ગંભીર પ્રશ્નનું આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી ત્વરિત નિવારણ લાવશે.