આગ લાગવાની આ ઘટના યાત્રીઓ ટ્રેનમાંથી ઉતર્યાના 2 કલાક બાદ બની હતી, આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું
બેંગલુરુ
બેંગલુરુના ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (કેએસઆર) રેલવે સ્ટેશન પર આજે સવારે ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓને તાત્કાલિક ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. આ ટ્રેન મુંબઈથી બેંગલુરુ વચ્ચે ચાલે છે અને કેએસઆર છેલ્લુ સ્ટેશન છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગ લાગવાની આ ઘટના યાત્રીઓ ટ્રેનમાંથી ઉતર્યાના 2 કલાક બાદ બની હતી. આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ અને એક્સપર્ટ સ્થિતિનો તાગ મળેવી રહી છે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી આવતી ટ્રેન નંબર 11301 ઉદ્યાન એક્સપ્રેસ આજે સવારે 5:45 વાગ્યે બેંગલુરુના કેએસઆર રેલવે સ્ટેશન પર પહોંચી હતી. લગભગ 7:10 વાગ્યે ટ્રેનના કોચ બી-1 અને બી-2માંથી ધુમાડો નીકળતો દેખાયો. ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને એલર્ટ કરવામાં આવી.
સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. ટ્રેનમાં આગ કયા કારણોસર લાગી તેના વિશે હજું જાણ નથી થી. રેવલે અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
ટ્રેનમાં આગ લાગવાની આ અઠવાડિયામાં બીજી ઘટના છે. આ અગાઉ બુધવારે ક્રૂડ ઓઈલ લઈને મુંગેરથી કિઉલ જઈ રહેલી માલગાડીના ટેન્કરમાં જમાલપુર રેલવે સ્ટેશન પર આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લેતા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ ટાળી દીધી હતી.