અત્યાર સુધી સત્તાધારી પક્ષ ઈડી-સીબીઆઈનો ડર બતાવીને દબાણ કરતો હતો, પરંતુ હવે આ ગઠબંધનમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-20-7.jpg)
નવી દિલ્હી
લોકસભાની ચૂંટણી આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. ચૂંટણી પહેલા પીએમપદની ઉમેદવારીને લઈને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયામાં હંગામો શરૂ થયો છે. મુંબઈમાં વિપક્ષની ગઠબંધનની બેઠક પહેલા હવે ભાષણબાજીનો નવો તબક્કો શરૂ થયો છે. કોંગ્રેસે આ પદ માટે મોટું નિવેદન આપ્યું છે.
વિપક્ષી ગઠબંધન સામે સૌથી મોટો સવાલ એ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ પીએમ મોદીની સામે કોને મેદાનમાં ઉતારશે? વિપક્ષી ગઠબંધનમાં પીએમ પદના દાવેદારોની યાદી વધી રહી છે, પરંતુ હજુ સુધી કોઈનું નામ સામે આવ્યું નથી. જો કે હવે આ યક્ષ પ્રશ્નને લઈને કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ કહ્યું છે કે જેની પાસે સૌથી વધુ બેઠકો હશે. તે પાર્ટીના નેતા જ પીએમ બનશે.
આ સવાલના જવાબમાં પ્રમોદ તિવારીએ કહ્યું કે, ‘2024માં દેશભરના તમામ નાના-મોટા પક્ષો એક મંચ પર એકઠા થશે અને ચૂંટણી લડશે અને જે પક્ષને સૌથી વધુ બહુમતી મળશે તે પાર્ટીના નેતા ઈન્ડિયા ગઠબંધન તરફથી વડાપ્રધાન પદ માટે ચૂંટાશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આવનારા થોડા દિવસોમાં ઈન્ડિયાના મહાગઠબંધનમાં અનેક મોટી પાર્ટીઓ જોડાવા જઈ રહી છે. અત્યાર સુધી સત્તાધારી પક્ષ ઈડી-સીબીઆઈનો ડર બતાવીને દબાણ કરતો હતો, પરંતુ હવે આ ગઠબંધનમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી મંગળવારે સાંજે ધાર્મિક નગરી અયોધ્યા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રસિદ્ધ સિદ્ધ પીઠ હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ અયોધ્યાના મુનિઓને પણ મળ્યા હતા. પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ થશે અને આવનારી સરકાર ઈન્ડિયા ગઠબંધનની હશે. પ્રમોદ તિવારીએ અહી કહ્યું હતું કે 2024ની ચૂંટણીમાં જે પાર્ટીની સૌથી વધુ સીટો હશે તેનો નેતા પીએમ બનશે.
પ્રમોદ તિવારીએ એમ પણ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે, તે કોર્ટના આદેશ પર બની રહ્યું છે. ભાજપના લોકો હંમેશા જુઠ્ઠું બોલતા રહ્યા કે તેમની સરકાર બનશે ત્યારે રામ મંદિર બનશે, પરંતુ આવું કંઈ થયું નથી. કોંગ્રેસ હંમેશા કહેતી હતી કે મંદિર પરસ્પર વાટાઘાટોથી કે કોર્ટના નિર્ણયથી જ બનશે અને અંતે એવું જ થયું.