લખનઉ સ્થિત શિયા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ આ નામને લઈને વાંધો ઉઠાવ્યો
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-2023-08-26T182755.749.jpg)
નવી દિલ્હી
ભારત માટે બુધવારનો દિવસ ઈતિહાસમાં નોંધાય ગયો છે કેમકે આ દિવસે ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થયુ હતું અને આમ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો. આ સિદ્ધિ પર પીએમ મોદીએ આજે જાહેરાત કરી હતી કે જ્યાં ચંદ્રયાન લેન્ડ થયું હતું તે લેન્ડિંગ સાઈટ હવે શિવશક્તિ તરીકે આળખાશે, હવે આ મામલે વિવાદ શરુ થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવશક્તિ નામ રાખવાની જાહેરાત બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. લખનઉ સ્થિત શિયા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ આ નામને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આપણા દેશના વૈજ્ઞાનિકોની મહેનત અને ભારતીય સંશોધન સંસ્થાને મળેલી સફળતા છે તેમજ આ સફળતા દેશની સફળતા છે. તેને આ રીતે કહેવું યોગ્ય નથી. તેનું નામ હિન્દુસ્તાન હોવું જોઈએ. આ સિવાય તેમણે કહ્યું કે વિક્રમ લેન્ડર જ્યાં લેન્ડ થયું તે જગ્યાનું નામ ભારત રાખવું જોઈએ. હિન્દુસ્તાન રાખત, ઈન્ડિયા રાખત, તો તે યોગ્ય હોત.
વિદેશ પ્રવાસેથી પરત ફરેલા વડાપ્રધાન મોદી આજે સીધા જ ઈસરો સેન્ટર પહોંચ્યા હતા. તેમણે ચંદ્રયાન મિશન સંબંધિત ત્રણ નામ આપવાની જાહેરાત કરી હતી. પહેલા ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટનું નામ શિવ શક્તિ પોઈન્ટ, ચંદ્રયાન-2ના ક્રેશ પોઈન્ટનું નામ તિરંગા પોઈન્ટ છે, અને ત્રીજું ચંદ્રયાન-3ના ચંદ્ર પર લેન્ડિંગના દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ હવેથી 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.