રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં એસસી, એસટી, ઓબીસી માટે 50 ટકા અનામતની ભલામણ કરી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતા
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-23-8.jpg)
અમદાવાદ
ગાંધીનગરમાં દર બુધવારે યોજાતી રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજે મળી છે. આવતીકાલે બુધવારે રક્ષાબંધનની રજા હોવાથી કેબિનેટની બેઠક આજે મળી છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ઘણા સમયથી ચર્ચામાં રહેતા ઝવેરી પંચના રીપોર્ટ પર વિચારણા હાથ ધરાઈ હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ બાદ પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે આજે જાહેરાત કરવામાં આવી છે. ગ્રામિણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એસસી અને એસટી અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત ઓબીસીને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં એસસી, એસટી, ઓબીસી માટે 50 ટકા અનામતની ભલામણ કરી છે. જ્યારે અગાઉ ઓબીસી માટે જે 10 ટકા બેઠકો હતી તે યથાવત્ રહેશે. પેશા એક્ટવાળા 9 જિલ્લા 61 તાલુકામાં વસ્તી પ્રમાણે બેઠક અને જિલ્લા, તાલુકામાં 10 ટકા અનામતની ભલામણ કરાઈ છે.ગુજરાતમાં ઓબીસી અનામતને લઈને સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કર્યો છે. રાજ્યમાં એક વર્ષ કરતાં વધુ સમયથી અનેક પંચાયતોમાં ઓબીસી બેઠકો ખાલી પડી છે. આ પંચાયતોમાં કોંગ્રેસે 27 ટકા ઓબીસી અનામતની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હવે સરકારે ઓબીસી અનામત અંગે જાહેરાત કરી દેતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ શક્યતાઓ છે.
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાવાર અનામત આપી છે. કુલ બેઠકો કરતાં 50 ટકાથી વધે નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 2022માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી અને 2023માં અહેવાલ મળ્યો અને 3 મહિનામાં આ ભલામણનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં અનામત અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. 27 ટકા અનામત અનુસુચૂતિ જનજાતિ અને અનુસુચૂતિ જાતિ અને અન્ય પછાત વર્ગ માટે જે બેઠક છે તે માટે ભલામણ કરી છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 9 જિલ્લા અને 61 તાલુકામાં આદિવાસી વસ્તી 50 ટકા કરતાં વધારે છે. આ વિસ્તારમાં વસ્તી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. 10 બેઠકો ઓબીસીને આપીએ છીએ તે ચાલુ રહેશે. જો 25થી 50 ટકા વસ્તી હશે તો નિયમ પ્રમાણે બેઠક આપવી એટલે ઓબીસી બેઠક ઘટી જાય એમ છે. એટલે એવા કિસ્સામાં સરકારે 10 ટકા અનામત યથાવત રાખી છે. યુનિટનો અભ્યાસ કર્યા બાદ 27 ટકા એ 50 ટકા કરતા વધે નહીં તે જોવામાં આવશે. કુલ બેઠકના 50 ટકા બેઠક અનામત એટલે કે 27 ટકા અનામત સાથે થાય છે. ભલામણ સ્વીકારી હોય અને એમાં પણ ઓબીસીને મહત્વ અને પ્રતિનિધિત્વ મળી રહે એટલે ખૂબ ઝડપથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય એમાં સરકારને રસ છે. હાલનું જે સીમાંકન એ પ્રમાણે ચૂંટણી યોજાશે.
સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022ના રોજ ઝવેરી પંચની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક રાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલા આવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરો તેમજ રાજનીતિ પરિસ્થિતિ અનુસાર પંચને વિશ્લેષણ કરીને સંપૂર્ણ રિપોર્ટ માટે રાજ્ય સરકારે સૂચના આપી હતી. સમયાંતરે ઝવેરી પંચની મુદત વધતી ગઈ અને અંતે 13 એપ્રિલ 2023ના રોજ પાંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં આજ દિન સુધી કોઈ નિર્ણય ન થતા કૉંગ્રેસે ઓબીસી બચાવો આંદોલન શરૂ કર્યુ હતું.