સેન્સેક્સમાં 256 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

Spread the love

અદાણી ગ્રૂપ પર ઓસીસીઆરપીના અહેવાલ બાદ અદાણીના તમામ શેરો ઘટ્યા હતા, જેની અસર બજાર પર પણ જોવા મળી


મુંબઈ
ઓગસ્ટ સિરીઝ એક્સપાયરી પર માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી. 3 દિવસની તેજી પછી બજાર ઘટાડા પર બંધ થયું. મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ વધીને બંધ થયા હતા જ્યારે પીએસઈ, એનર્જી, મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી રહી હતી ત્યારે બેન્કિંગ, મેટલ, ફાર્મા ઈન્ડક્સ ઘટાડા સાથે બંધ થયા હતા.
સ્થાનિક શેરબજારની શરૂઆત આજે તેજી સાથે થઈ હતી, પરંતુ બંધ થવાના સમયે તે લાલ નિશાન સાથે બંધ થયું. આજે ઓગસ્ટ સિરીઝની એક્સપાયરીનાં દિવસે શેરબજારમાં ઘટાડા પર બંધ થવાને કારણે શેરબજારમાં બંધના ધોરણે નિરાશા જોવા મળી હતી. અદાણી ગ્રૂપ પર ઓસીસીઆરપીના અહેવાલ બાદ અદાણીના તમામ શેરો ઘટ્યા હતા, જેની અસર બજાર પર પણ જોવા મળી હતી.
જોકે માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ એક્સપાયરી પ્રેશર હતું. આજે બેન્ક નિફ્ટી પણ ઘટાડા પર બંધ થઈ છે અને પીએસયુ બેન્કો સતત ત્રીજા દિવસે નબળાઈ સાથે લાલ નિશાનમાં બંધ થઈ છે અને આ સપ્તાહે પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 1.3 ટકા ઘટીને બંધ થયો છે.
આજે બંધ થવાના સમયે સેન્સેક્સ 255.84 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટીને 64,831.41ની સપાટીએ અને નિફ્ટી 93.65 પોઈન્ટ અથવા 0.48 ટકા ઘટીને 19,253.80ના સ્તરે બંધ હતો.
નિફ્ટી 19388 સુધી ઊંચા સ્તરે ગયો હતો, પરંતુ 19300ની નીચે આવતાની સાથે જ ઘટાડો વધુ થયો હતો, બંધ થવાના સમયે નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થવામાં સફળ રહ્યો હતો. બજાર બંધ થવાના સમયે નિફ્ટીના 50માંથી માત્ર 16 શેરો જ તેજી સાથે બંધ થયા છે અને 35 શેરોમાં ઘટાડા સાથે વેપાર બંધ થયો છે.
અદાણી ગ્રુપ પર વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે. નવો રિપોર્ટ આવતાની સાથે જ ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિને મોટું નુકસાન થયું છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં થોડા કલાકોમાં 2 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જો કે, આનાથી તેના રેન્ક પર કોઈ અસર થઈ નથી. ફોર્બ્સની રીઅલ-ટાઇમ અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણીનો ક્રમ 24મો છે અને તેમની કુલ સંપત્તિ $53.4 બિલિયન છે. જો કે, બ્લૂમબર્ગ અનુસાર, ગૌતમ અદાણી $56.5 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 20મા અબજોપતિ છે.

Total Visiters :116 Total: 678460

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *