પ.બંગાળમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, કારના કાંચ તૂટ્યા

Spread the love

કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે

કોલકાતા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના કાફલા પર પશ્ચિમ બંગાળના માલદામાં હુમલો થતા ચકચાર મચી ગઈ છે. આ હુમલો તેમની કાર પર આજે થયો હતો. ઘટના દરમિયાન વાહનના કાચ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પથ્થર ફેંક્યા પછી કોઈને ઈજા થઈ હતી કે નહીં, હાલમાં આ વિશે કોઈ માહિતી નથી, પરંતુ આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા બંગાળ પહોંચી હતી.

એક સમાચાર ચેનલ દ્વારા મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધીના કાફલાને પશ્ચિમ બંગાળના માલદામાં નિશાન બનાવવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ કેટલાક અરાજકતાવાદી તત્વોએ આ હુમલો કર્યો હતો અને આ અરાજકતાવાદી તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મળેલા અહેવાલો મુજબ ન્યાય યાત્રા નિહાળવા માલદા જિલ્લાના લભા પુલ પાસે હજારોની ભીડ એકઠી થઈ હતી. રાહુલ ગાંધી બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમના કાફલાના વાહન પરના હુમલામાં, કારની પાછળની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી. કોંગ્રેસના નેતાઓએ તેને સુરક્ષાની મોટી ખામી ગણાવી છે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, “માલદામાં સીએમ મમતા બેનર્જીની આજની રેલીમાં તમામ પોલીસકર્મીઓ વ્યસ્ત છે. માત્ર થોડા પોલીસકર્મીઓને આ સમારંભમાં માટે તહેનાત કરવામાં આવ્યા છે.”

બિહારમાં કટિહારથી આગળ વધતા આજે સવારે લગભગ 11:30 વાગ્યે રાહુલ ગાંધીના નેતૃત્ત્વવાળી ન્યાય યાત્રા માલદા થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધી આ દરમિયાન કારની છત પર બેઠા હતા, જે શહેરના મુખ્ય માર્ગો પરથી ધીમે ધીમે પસાર થઈ રહી હતી.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 14 જાન્યુઆરી, 2024ના રોજ મણિપુરથી શરૂ થઈ હતી. યાત્રા દરમિયાન 6,713 કિમીનું અંતર 67 દિવસમાં કાપવામાં આવશે જે 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ પાર્ટી માટે આ પ્રવાસને માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.

Total Visiters :66 Total: 678416

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *