લગ્નના આધાર પર કોઈને નોકરીમાંથી છૂટા ન કરી શકાયઃ સુપ્રીમ

Spread the love

26 વર્ષ પહેલા એક મહિલા અધિકારીને માત્ર એટલા માટે નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી કારણ કે, તેના લગ્ન થઈ ગયા હતા

નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં મોટો ચુકાદો આપ્યો છે. 26 વર્ષ જૂના કેસમાં સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, લગ્નના આધાર પર કોઈને નોકરીમાંથી છૂટા ન કરી શકાય. આજથી 26 વર્ષ પહેલા લગ્નના આધાર પર એક મહિલા અધિકારીને માત્ર એટલા માટે નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી કારણ કે, તેના લગ્ન થઈ ગયા હતા.

હવે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા મહિલાના હિતમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, આ પ્રકારનો નિયમ ખૂબ જ મનસ્વી હતો. મહિલાના લગ્ન થઈ જવાના કારણે તેને નોકરીમાંથી છૂટી કરી દેવી એ લિંગ ભેદભાવ અને અસમાનતા છે. 

આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, લગ્નના આધાર પર કોઈ પણ મહિલાઓને નોકરીમાંથી છૂટી ન શકાય. મહિલા કર્મચારીઓને લગ્નના આધાર પર પોતાના અધિકારથી વંચિત ન રાખી શકાય. તેને આધાર બનાવનારા નિયમો ગેરબંધારણીય છે. આ નિયમો પિતૃસત્તાક છે જે માનવ ગરિમાને નબળી પાડે છે.

આવા નિયમો નિષ્પક્ષ વ્યવહારના અધિકારને નબળા પાડે છે. આટલું જ નહીં કોર્ટે કેન્દ્ર સરકારને લગ્નના આધાર પર નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવેલ સૈન્ય નર્સિંગ ઓફિસરને 60 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

અરજદાર સેલિના જોન છેલ્લા 26 વર્ષથી પોતાના અધિકાર માટે કાનૂની લડાઈ લડી રહી હતી. હવે કોર્ટના નિર્ણય સાથે તેમની લડાઈનો અંત આવ્યો છે. તેમની જીત થઈ છે અને અન્ય મહિલાઓને પણ અધિકાર મળ્યો છે.

સૈન્ય નર્સિંગમાં સેવા આપતા સેલિના જોનને  કોઈપણ કારણ બતાવો નોટિસ આપ્યા વિના નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી. તે આર્મી હોસ્પિટલમાં તાલીમાર્થી તરીકે સામેલ થઈ હતી. તેમને એનએમએસમાં લેફ્ટનન્ટના પદ પર કમિશન આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ તેમણે એક સેના અધિકારી મેજર વિનોદ રાઘવન સાથે લગ્ન કર્યા હતા. સુપ્રીમ કોર્ટે હવે 26 વર્ષ બાદ તેને  લિંગ ભેદભાવનો મામલો ગણાવ્યો છે અને મહિલાના હિતમાં નિર્ણય સંભળાવ્યો છે. 

Total Visiters :111 Total: 1094100

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *