આ રોબોટની કામગીરી ચુસ્ત અંડરવોટર મોનિટરિંગ અને ચકાસણીનું હશે, તેની કાર્યક્ષમતાનું સ્તર ઘણું ઊંચું હશે, જોખમ અત્યંત ઓછું હશે
નવી દિલ્હી
ઈન્ડિયન ઈન્સ્ટિટટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) મંડી અને પલક્કડે દરિયાની અંદર સર્વેલન્સ માટે રિયલ ટાઇમ અંડર વોટર મરીન રોબોટ વિકસાવવાની જબરદસ્ત સિદ્ધિ મેળવી છે. આ રોબોટની કામગીરી ચુસ્ત અંડરવોટર મોનિટરિંગ અને ચકાસણીનું હશે. તેની કાર્યક્ષમતાનું સ્તર ઘણું ઊંચું હશે, જોખમ અત્યંત ઓછું હશે અને તે સંભવતઃ ખર્ચ અસરકારક હશે એમ રિસર્ચરોએ જણાવ્યું હતું. આઇઆઇટી મંડી ખાતે સેન્ટર ફોર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર જગદીશ કાદિયાને જણાવ્યું હતું કે ઈતિહાસમાંથી સમુદ્રના આંતરિક જળપ્રવાહો અંગે જાણીને તે તારણ પર આવવામાં આવ્યું કે રિસર્ચ શિપ્સના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉંડે ઉતારીને જ સમુદ્ર અંગે વધુ તાગ મેળવી શકાય છે.
અભ્યાસના સહલેખક કાદિયાને જણાવ્યું હતું કે સામાન્ય ક્રુઝ શિપ એક કે બે મહિના પાણીની સપાટી પર રહે છે અને તેના પગલે દરિયા અંગે તલસ્પર્શી અહેવાલ તૈયાર કરવાની સંભાવના મર્યાદિત બની જાય છે. તેથી વારંવાર કહેવાયું છે કે સમુદ્રમાં થતા ફેરફાર કંઈ કોઈ શિપ તેમને માપવા માટે આવે તેની રાહ જોતાં નથી. આના પગલે અંડર સેમ્પલિંગમાં પડતી તકલીફો અને ઓબ્ઝર્વેશન પ્લેટફોર્મ સ્થાપવાના ઊંચા ખર્ચના લીધે તેવી ટેકનોલોજીઓની જરુર વર્તાતી હતી કે સમુદ્રની અંદર નીચા ખર્ચે લાંબા સમયગાળા માટે નિરીક્ષણ કરવું આવશ્યક છે. મરીન રોબોટ તેનું જ પરિણામ છે.
તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે વિશ્વસ્તરે વયોવૃદ્ધ થતાં ડેમ્સ ચિંતાનો મોટો વિષય છે અને પર્યાવરણ પર વધુને વધુ પ્રમાણમાં મૂકવામાં આવતા ભારના લીધે બંધની સ્થિતિ ચકાસવા માટે વધુને વધુ આધુનિક પદ્ધતિઓની જરુરિયાત વર્તાઈ છે. તેમા માનવ ડૂબકીમારને મોકલવો જીવલેણ સાબિત થઈ શકે છે અને આ પદ્ધતિ વધુ સમય માંગી લેવાની સાથે મોંઘી પડી શકે છે. તેના બદલે ઇન્ટિગ્રેટિંગ મરીન રોબોટ્સ ડેમ ચકાસણીની પ્રક્રિયા માટે ઉતરીને વધારે સલામત, ખર્ચ અસરકારક અને ટેકનોલોજી એડવાન્સ્ડ સોલ્યુશન ઓફર કરી શકે છે. અગાઉ આ કામ માનવ ડૂબકીમાર કરતા હતા. તેના લીધે તેમના આરોગ્ય પર અસર પડતી હતી અને તેમનું જીવન પણ ભયમાં મૂકાતું હતું.